Ep-7: શ્રી મુછાળા મહાવીર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૧૨૦ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: ધાણેરાવ ગામથી ૫ કિ.મી. દૂર પહાડોની વચમાં જંગલમાં.
પ્રાચીનતા: આ તીર્થ ઘણુંજ પ્રાચીન ગણાય છે, પણ કેટલું પ્રાચીન તે જાણવું કઠિન છે. પ્રતિમાજી પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી. અંતિમ જીર્ણોદ્ધાર વિ.સં. ૨૦૧૭માં પ્રારંભ થઈ સં. ૨૦૨૨ માં પુનઃ પ્રતિષ્ઠા થઈ.
વિશિષ્ટતા: આ ગોડવાલ પંચતીર્થનું એકતીર્થ મનાય છે. અહીંનો ચમત્કાર પણ લોક પ્રસિદ્ધ છે. એક વખત ઉદયપુરના મહારાણા અહીં દર્શન માટે પધાર્યા, તિલક કરતી વખતે મહારાણા એ કેસરની કટોરીમાં વાળ જોઈને પૂજારીને હસતાં હસતાં કહ્યું કે ભગવાનને મૂછો હોય એમ લાગે છે. મહાવીર ભક્ત પૂજારીએ હા કહી અને જણાવ્યું
કે ભગવાન સમયે સમયે ઈચ્છા પ્રમાણે અનેક ૩પ ધારણ કરે છે. હઠીલા મહારાણાએ પૂજારી ને કહ્યું કે મારે મૂછોવાળા ભગવાનના દર્શન કરવા છે. હું અહીં ત્રણ દિવસ રહીશ. ભક્ત પૂજારીની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ પ્રભુએ મૂછો સાથે મહારાણાને દર્શન આપ્યાં. એ દિવસથી આ તીર્થનું નામ મૂછાળા મહાવીર પડયું એમ મનાય છે. આજે પણ ચમત્કારીક ઘટનાઓ બને છે એમ કહેવાય છે. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ને મેળો ભરાય છે, તથા વૈશાખ શુકલા અષ્ટમીનો પણ વાર્ષિક ધ્વજરોહણનો મેળો હોય છે.

બીજા મંદિરો: હાલમાં બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: બન્ને તરફ પહાડોથી ઘેરાયેલું આ પ્રાચીન મનોરમ મંદિર જાણે જંગલમાં મંગલ કરે છે. મંદિરના મંડપો, સ્તંભો અને ભમતીમાં ઉત્કીર્ણ કલાના ભિન્ન ભિન્ન નમુના દર્શનીય છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ફાલના ૪૦ કિ.મી. તથા રાની લગભગ ૫૦ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. નજીકનું ગામ ધાણેરાવ ૫ કિ.મી. દૂર છે. સરકારી બસો ઘાણેરાવ સુધી આવે છે. ધાણેરાવથી બસ તથા ટેકસીની સગવડતા છે. ઘાણેરાવથી મંદિર સુધી પાકો રસ્તો છે. કોઈપણ પ્રકારના વાહન છેલ્લે સુધી જઈ શકે છે. અહીંથી નારલાઈ લગભગ ૧૬ કિ.મી., રાણકપુર ૨૪ કિ.મી. તથા સાદડી ૧૫ કિ.મી. દૂર છે. સાદડીથી ટેકસીની સગવડતા છે.
સગવડતા: રહેવા માટે મંદિરની નજીક દરેક પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા છે. અહીં ભોજનશાળાની પણ સગવડતા છે.
પેઢી: શ્રી આનંદજી કલ્યાણજી પેઢી, મુછાળા મહાવીરજી, પોસ્ટ : ઘાણેરાવ ૩૦૬ ૭૦૪, જીલ્લો : પાલી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૩૪-૮૪૦૫૬